યશરાજ બેનરને “વોર”
ની સફળતાને લઈને રાહતનો શ્વાસ મળ્યો છે. મોટેભાગે યશરાજ બેનરની ફિલ્મો થોડા સમય
પહેલા નબળો દેખાવ બોક્સ ઓફીસ ઉપર કરી રહી હતી એ બાબતની તો બધાને ખબર જ છે. ગત
શુક્રવારે યશરાજ ફિલ્મ્સની ચંદ્રપ્રકાશ દ્રિવેદી દિગ્દર્શિત ઐતિહાસિક ફિલ્મ “
પૃથ્વીરાજ” ની મુહરત પૂજા સાથે ફિલ્મના શુટિંગની વિધિવત શરૂઆત થઇ ગઈ છે. આદિત્ય ચોપરા, રાની મુખરજી, માનુષી છીલ્લર અને અક્ષય કુમાર અને ચંદ્રપ્રકાશ દ્રિવેદીએ ભેગા મળીને
હવન પૂજામાં ભાગ લીધો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને માનુષી છીલ્લર સાથે સંજય
દત્ત, આશુતોષ રાણા, માનવ વીજ અને અન્ય કલાકાર પણ કામ કરી રહ્યા છે. ડૉ. ચંદ્રપ્રકાશ
દ્રિવેદી પીરીયડ વીકલી સોપ “ચાણક્ય’ના દિગ્દર્શન અને અભિનયને કારણે આપણે બધા ઓળખીએ
છીએ. ડૉ. ચંદ્રપ્રકાશ દ્રિવેદીએ અત્યાર સુધી ભારત – પાક ભાગલા આધારિત “પિંજર”, “જેડ
પ્લસ” અને “મહોલ્લા અસ્સી” જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.
ફિલ્મ “પિંજર” તો
લેખિકા અમૃતા પ્રીતમની નોવેલ આધારિત છે. ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્દ્રીવેદીએ છેલ્લી
ત્રણ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે, આ તમામ ફિલ્મો સાહિત્ય કૃતિ આધારિત જ હતી. ઐતિહાસિક
ફિલ્મ “પૃથ્વીરાજ” ચંદબરદાઈની “પૃથ્વીરાજ રાસો” ના કથાસુત્રથી લેવામાં આવેલ છે. આ
ફિલ્મ યોગ્ય ગુણવત્તા ધરાવનાર બનશે તો ભવ્ય ઐતિહાસિક ફિલ્મોની શ્રેણીમાં આવી જશે.
ડોકટર ચંદ્રપ્રકાશ
દ્રિવેદીની પ્રથમ ફિલ્મ “ પિંજર” નોવેલ બેઝડ હતી અને વિભાજનના દર્દ ને હતાશાને
ફિલ્મમાં રજુ કરવામાં આવ્યા હતા, ફિલ્મ “ઝેડ પ્લસ” માં વર્તમાન સમયના રાજસ્થાનનું
ચિત્રણ હતુ, ત્યાર બાદ ફિલ્મ “ મહોલ્લા અસ્સી” માં વીતી ગયેલ સદીના અને અંતિમ
દસકાના બનારસ અને બનારસના અસ્સી ઘાટને દેખાડવામાં આવ્યું હતું. મુંબઈના ફિલ્મ
સિટીમાં આ ફિલ્મનો સેટ લગાડવામાં આવ્યો હતો જ્યાં ફિલ્મના સેટને જોઇને “કાશી કા અસ્સી” ના લેખક ડોક્ટર.કાશીનાથ સિંહ અને તેમના મોટા
ભાઈ વિખ્યાત સમીક્ષક નામવર સિંહ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. બંનેનું મંતવ્ય હતું કે
બનારસની સાંકડી ગલીઓ અને દુકાનોને અદલ મુંબઈના સેટ ઉપર બનાવવામાં આવ્યા હતા. ભારત –
પાક વિભાજન આધારિત ફિલ્મ “પિંજર” ના સેટને પણ ગોરેગાંવ (ઇસ્ટ) ફિલ્મ સિટીમાં
બનાવવામાં આવ્યો હતો, ફિલ્મના અમુક ભાગનું શુટિંગ સુરત જીલ્લાના બારડોલી નજીક
કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક ફિલ્મ “ પૃથ્વીરાજ” ના સેટને યશરાજ સ્ટુડીયોમાં જ
નિર્માણ કરવામાં આવ્યો છે અને ત્યાં જ શુટિંગ શરુ થઈ ગયું છે.
ફિલ્મ મેકર ઓમર
રાઉત નિર્દેશિત “તાનાજી”નું ટ્રેલર આવ્યું છે અને “તાનાજી” છત્રપતિ શિવાજીના મિત્ર
અને કીલેદાર હતા. શિવાજીએ તેમને મોઘલોના આધીન એક ગઢને પોતાના કબજા હેઠળ લેવા માટે
મોકલ્યા હતા, આ ગઢનું રાજકીય મહત્વ હતું. શિવાજીના આદેશ ઉપર તાનાજીએ બહાદુર સૈનિકોની
મદદથી આ કિલ્લાને જીત્યો હતો. આ ગઢ જીતવાના યુદ્ધમાં તાનાજી શહીદ થઇ ગયા હતા. તેમના
શહીદ થયા બાદ દુખી થઈ છત્રપતી શિવાજીએ કહ્યું હતું કે ‘ ગઢ આલા પણ સિંહ ગેલા”,
તેમણે તાનાજીને સિંહ કહ્યા હતા અને કોંડાના ગઢને સિંહગઢ નામ આપ્યું હતું. સિંહગઢની લડાઈ
ઉપર મરાઠી સાહિત્યકાર હરિનારાયણ આપ્ટેએ છત્રપતિ શિવાજી મહારાજની ઉક્તિને પોતાનાં
ઉપન્યાસનું શીર્ષક બનાવી દીધું હતું. આ ઉપન્યાસનું શીર્ષક હતું “ગઢ આલા પણ સિંહ
ગેલા”. આ ઉપન્યાસ પર પહેલા બાબુરાવ પેંટરે વર્ષ ૧૯૨૩ માં “સિંહગઢ” ફિલ્મનું
નિર્દેશન કર્યું હતું, ત્યાર બાદ વર્ષ ૧૯૩૩માં પ્રભાત ચિત્ર કંપની માટે વી.શાંતારામેં
“સિંહગઢ”નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં તાનાજીની ભૂમિકા માસ્ટર વિનાયકે
ભજવી હતી.
તાજેતરની ફિલ્મ “તાનાજી”માં
મુખ્ય ભૂમિકા અજય દેવગણ ભજવી રહ્યા છે અને તેમની સાથે સૈફ અલી ખાન અને કાજોલ પણ
મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. અગાઉ કાજોલ અને અજય દેવગણ ઘણી ફિલ્મોમાં એકસાથે કામ
કરી ચુક્યા છે. કાજોલ અને સૈફ અલી ખાન પણ “દિલ્લગી” અને “ હંમેશા” જેવી ફિલ્મમાં સાથે
કામ કરી ચુક્યા છે.
ઐતિહાસિક ફીલ્મોના
પૂરમાં આશુતોષ ગોવારીકરની ફિલ્મ “પાનીપત” પણ આવી રહી છે. અગાઉ ફિલ્મ “જોધા અકબર”
અને “ મોહેંજો દરો” જેવી ઐતિહાસિક ફિલ્મો આશુતોષ ગોવારીકર બનાવી ચુક્યા છે. ફિલ્મ “પાનીપત”માં
અફઘાની બાદશાહ અહમદ શાહ અબ્દાલી અને મરાઠા પેશ્વા સદાશિવ ભાઉના વચ્ચે થયેલ યુદ્ધનું
બેકડ્રોપ છે.આ યુદ્ધને
પાનીપતનું ત્રીજું યુદ્ધ પણ કહેવામાં આવ્યું હતું. ફિલ્મમાં કૃતિ સેનને પાર્વતી
બાઈની ભૂમિકા ભજવી હતી અને આ સિવાય ઝીનત અમાન, પદ્મિની કોલ્હાપુરે, કુણાલ કપૂર
મુખ્ય ભૂમિકામાં છે.
આ ત્રણ ઐતિહાસિક
ફિલ્મો આવી રહી છે , વળી ફિલ્મ “ તાનાજી”માં વિએફએક્સનો ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો
છે. આ ત્રણ ફિલ્મમાં એક ફેક્ટર કોમન છે રાષ્ટ્રવાદનું અને રાષ્ટ્રવાદનાં સંદેશ
સાથે ફિલ્મ આજના સંદર્ભે કેટલી પ્રાસંગિક બને છે એ જોવાનુ રહેશે.
#kajol #tanahji #ajaydevgan



Comments